ઋષિ-મુનિ મળી જાય તો સબબિધિ સાધુ છે.
કૂળ પણ સાધુ,કૂખ પણ સાધુ અને કૂપ પણ સાધુ-એ પરમસાધુ,સબબિધિ સાધુ છે.
રામચરિત માનસનાં ઋષિઓ મોટાભાગે ગૃહસ્થ છે.
ઋષિ પ્રતિષ્ઠાનાં,મુનિ નિષ્ઠાનાં માણસ છે.
પ્રેમ પરિક્ષા નથી કરતો,જનમ-જનમ પ્રતિક્ષા કરે છે.
કથા મનને સ્થિર કરવા માટે નહીં,મનને શુદ્ધ કરવા માટે છે.
વ્રજમંડળનાં પૌરાણિક વનોમાં જે અવ્વલ છે એવી અગ્રવન-આગ્રાની ભૂમિ પર,બુધવાર-રામકથાનાં બીજા દિવસે થોડી જીજ્ઞાશાઓને વાચા આપીને કહ્યું કે માનસ અંતર્ગત ઋષિઓ ઓછા,મુનિઓ(૭૦૦થી વધુ વખત મુનિ શબ્દનો પ્રયોગ થયો છે) વધારે છે.જોકે અહીં શ્રેષ્ઠ કે નિમ્ન,જાતિ કે વર્ણભેદ,ઋષિ કે મુનિનાં ભેદમાં ન જશો,અપરાધ થઈ જશે. મોટાભાગે રામચરિત માનસનાં ઋષિઓ ગૃહસ્થ છે. વસિષ્ઠનાં આશ્રમ વિશે મુનિ શબ્દથી માહિતી નથી મળતી,ઋષિ શબ્દથી મળે છે.અહીં ગુરુગૃહ શબ્દ આવ્યો છે.જોકે આ આશ્રમ છે પણ એને ગૃહસ્થાશ્રમ સમજીએ.
ગુરુ ગૃહ પઢન ગયે રઘુરાઈ;
અલપ કાલ બિદ્યા સબ આઈ.
ઋષિઓ બહુધા ગૃહસ્થ હોય છે.
વશિષ્ઠ અને અરુંધતિ-૧૦૦ સંતાનનાં માતા-પિતા પૂર્ણ ગૃહસ્થ છે.વાલ્મિકી ગૃહસ્થ નથી પણ એના આશ્રમમાં જાનકીજી સગર્ભા સ્થિતિ વખતે આવે છે ત્યારે પોતાના પિયર આવી હોય એવું અનુભવે છે. ભરદ્વાજ ગૃહસ્થી નથી પણ એના આશ્રમ વિશે સંકેત છે.કુંભજ-અગત્સ્ય અને લોપામુદ્રા ગૃહસ્થ છે અત્રિ અને અનસુયા ગૃહસ્થ છે.યાજ્ઞવલ્કને બે પત્નીઓ:મૈત્રેયી અને કાત્યાયની છે,દરેક પ્રકારે સંપન્ન છે.
આ સાતેયનાં વિશેષ પ્રાગટ્ય સ્થાન છે.વાલ્મિકી જોકે પ્રાચેતાનાં સંતાન છે પણ એનું પ્રાગટ્ય વાલમિક એટલે કે રાફડામાંથી થયું એવી કથા છે.વશિષ્ઠ બ્રહ્મોદ્ભવ છે,બ્રહ્માનાં માનસ પુત્ર છે.વિશ્વામિત્ર ગાધિ રાજાનાં પુત્ર,રાજર્ષિ અને બ્રહ્મર્ષિ માં અટવાયા બાદ ક્ષત્રિય કુળમાં એનું પ્રાગટ્ય છે.અત્રિ મહારાજ ગુણાતિત અવસ્થામાં પ્રગટ થયા છે.કુંભજનું કુંભ- ઘડાથી પ્રાગટ્ય થયું છે.
જોકે આ અંતિમ નિર્ણય નથી,આ ઇતિ નહીં વાર્તાલાપ છે.સામે મુનિ વાનપ્રસ્થી છે.કુંભજ ઋષિ પણ છે,મુનિ પણ છે.આ એઝ ઈટ ઇઝ દર્શન છે. વર્ણ-જાતિના રૂપમાં ઋષિ-મુનિઓને ન જોવા.એક વર્ણ બ્રાહ્મણ,એક વર્ણ સાધુ છે,માત્ર ચેતનાને પરખવી જોઈએ.
ઋષિ પ્રતિષ્ઠા અને મુનિ નિષ્ઠાનાં માણસ છે.
જે સક્રિય છે એ ઋષિ છે.કર્મ દ્વારા પ્રતિષ્ઠિત છે. મુનિ પ્રતિષ્ઠા અસંગ છે,જોકે અધિકારી જરૂર છે.
ઋષિ+મુનિ બરાબર પરમસાધુ.ઋષિ-મુનિ મળી જાય તો સબબિધિ સાધુ છે.એક ગૃહસ્થ,એક વિરક્ત છે. કોઈ નિમ્ન-શ્રેષ્ઠ નથી,બધા જ પ્રણમ્ય છે.
જાસુ કથા કુંભજ રિષિ ગાઇ;
ભગતિ જાસુ મૈં મુનિહી સુનાઇ.
ઋષિઓને રાજર્ષિ,મહર્ષિ કહે છે,પરંતુ સારો શબ્દ બ્રહ્મર્ષિ છે.આપ વર્ણ સંકિર્ણતામાં ન જાઓ તો બ્રાહ્મણ ઋષિ છે.થોડીક પણ વર્ણ સંકિર્ણતા આવવી ન જોઈએ-આ રામસુખદાસજી મહારાજનો શબ્દ છે.ગીતા દર્શિત જેટલા પણ લક્ષણ દેખાય એ બ્રાહ્મણ છે,ચાહે બ્રહ્મ કૂળમાં,અન્ય કૂળમાં એનો જન્મ થયો હોય.જન્મથી નહીં,કર્મથી વર્ણ છે.છતાં જન્મનું પણ મહત્વ છે.
કૂળ પણ સાધુ,કૂખ પણ સાધુ અને કૂપ પણ સાધુ-એ પરમસાધુ,સબબિધિ સાધુ છે.
આ ત્રણેય જેના પવિત્ર છે એ સબબિધિ સાધુ છે.
ભરતનું કૂળ-રઘુકૂળ,કૂખ-કૈકયીની,કૂપ-ભરતનો.
પ્રેમ પરિક્ષા નથી કરતો,જનમ-જનમ પ્રતિક્ષા કરે છે. કથા મનને સ્થિર કરવા માટે નહીં,મનને શુદ્ધ કરવા માટે છે.
રામકથા કે તેહિ અધિકારી;
જિનકે સત સંગતિ અતિ પ્યારી.
રામનામનું કીર્તન એ કથાનો પ્રસાદ છે.
હનુમંત વંદના પછી રામનાં અવતાર કાર્યમાં સહયોગ કર્યો એ બધાના ચરણોમાં તુલસીજીએ પ્રણામ વંદન કરી સીતારામજીની વંદના કરી.
તુલસીજીને વારંવાર નારી નીંદક કહીને સતત તેની ટીકા,આલોચના કરતા લોકોને ખબર નથી કે ગુરુ વંદનાની આગળ શ્રી શબ્દ લગાવ્યો એ શ્રી એટલે સીતાજી.શ્રી એ સંપ્રદાય પણ છે.અહીં પણ તુલસીજી પહેલા માતૃ વંદના કરે છે.
આપણી ચિંતન ધારા માતૃ શરીરને ત્રણ રીતે પરિચય આપે છે:પુત્રી,માતા અને પત્નીનાં રૂપમાં.
દક્ષને ત્યાં જન્મી એ ઉમા-અંબિકા-ભવાની નામાભિધાન કર્યું.ઉમા પુત્રીનાં રૂપમાં,અંબિકા માતા અને ભવાની શિવની ધર્મપત્નીનાં રૂપમાં
આપણે ત્યાં મધ્યનો વિશેષ મહિમા છે.માતા મધ્યમાં છે.બુધ્ધે પણ મધ્મ માર્ગનો ખૂબ આદર કર્યો છે.
જનકસુતા જગ જનની જાનકી;
અતિશય પ્રિય કરૂણાનિધાન કી.
આ રીતે સીતારામજીની વંદના માતૃ શક્તિને આદર આપી નામ વંદના પછી નામ મહિમાનું ગાયન કર્યું. રામનામની શ્રેષ્ઠતા,નામ મહારાજનું મહત્વ દર્શાવી આજની કથાને વિરામ અપાયો.
કથા-વિશેષ:
ઋષિઓની પંચ પ્રતિષ્ઠા,મુનિઓની પંચનિષ્ઠા.
ઋષિઓની પાંચ પ્રતિષ્ઠા હોય છે,હોવી જોઇએ:
૧-રાજ પ્રતિષ્ઠા.૨-લોક પ્રતિષ્ઠા.૩-વેદ પ્રતિષ્ઠા.૪- ધર્મ પ્રતિષ્ઠા.૫-કર્મપ્રતિષ્ઠા.
મુનિઓની પાંચ નિષ્ઠા હોય છે:
એક-ઇષ્ટમાં નિષ્ઠા.બે-નામનિષ્ઠા.ત્રણ-આત્મનિષ્ઠા. ચાર-ગુરુનિષ્ઠા.પાંચ-ગ્રંથનિષ્ઠા.









Discussion
LIVELoading comments...